અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. યાર્ડમાં રાખવામાં આવેલા કપાસના મોટા જથ્થામાં અચાનક જ્વાળાઓ ઉઠતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
બાબરા યાર્ડના જાણીતા વેપારી અશ્વિનભાઈ ટાઢાણીએ ખેડૂતો પાસેથી ખરીદેલા કપાસનો ઢગલો યાર્ડમાં રાખ્યો હતો. આજે કોઈ અગમ્ય કારણોસર આ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
