આણંદના ઉમરેઠમાં પીપળી માતા પાસે અકસ્માત સર્જાયો છે. વરઘોડો શહેરના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. ફટાકડાના ધડાકા દરમિયાન 3 મહિલાઓ અને 1 બાળક ઈજાગ્રસ્ત થયા હતાં. જેમને મુખ્યત્વે મોઢા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના દરમિયાન લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.
આણંદમાં વરઘોડામાં ફટાકડા ફોડતા દૂર્ઘટના
ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આવા દુર્ઘટનાઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ જરૂરી છે અને ફટાકડાઓના ઉપયોગમાં નિયમોનું પાલન અત્યંત મહત્વપૂર્ણ છે. ઉમરેઠ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાયો છે અને જવાબદાર લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સંબંધિત સાક્ષીઓની પણ વિગતો મેળવીને તપાસના દિશામાં પગલાં ભર્યા છે. આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
