ખંભાતના શક્કરપુર વિસ્તારમાં આવેલું શ્રી મોટા બળીયાદેવ મહારાજનું પૌરાણિક મંદિર વર્ષોથી આસ્થા, શ્રાદ્ધા અને પરંપરાનું કેન્દ્ર રહ્યું છે. ચરોતરના 42 ગામો અને 24 પરગણાના દેવ તરીકે જાણીતા બળિયા બાપજી પ્રત્યે ખંભાત સહિત આસપાસના વિસ્તારોના લોકોની અતૂટ શ્રાદ્ધા છે. બળીયાદેવ મહારાજને લોકઆસ્થાના દેવ તરીકે પૂજવામાં આવે છે અને ખાસ કરીને આરોગ્ય, સુખ-શાંતિ તથા વિવિધ બાધાઓમાંથી મુક્તિ માટે ભક્તો શ્રાદ્ધાપૂર્વક તેમની આરાધના કરે છે. શક્કરપુરધામના બળીયાદેવ મહારાજના મહિમાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ હોવાનું વર્ષોથી મંદિરની પૂજા-અર્ચના સાથે જોડાયેલા ભાગ્યેશભાઈ ભટ્ટ જણાવે છે. અમાસના પાવન દિવસે બળિયા બાપજીના દર્શન કરી પૂજન-અર્ચન અને વધામણાં અર્પણ કરવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે.
આ પાવન પરંપરાને અનુસરી આજે શ્રાવણી અમાસ નિમિત્તે શક્કરપુરધામ સ્થિત શ્રી મોટા બળીયાદેવ મહારાજ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 9 વાગ્યાથી હવનનો પ્રારંભ થશે અને બપોરે 12 વાગ્યે શ્રીફ્ળ હોમવાની વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ તુરંત જ ભવ્ય મહાઆરતી યોજાશે. પરંપરા મુજબ ગુપ્ત પૂજા અંતર્ગત દીપ અર્પણ વિધિ પણ કરવામાં આવશે. લોકકલ્યાણ, સર્વજનના સુખ-શાંતિ અને મંગલની ભાવના સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા ખંભાત શહેર તેમજ આસપાસના વિસ્તારના સર્વે ધર્મપ્રેમી નાગરિકો અને માઈભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી બળિયા બાપજીના દર્શન, હવન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
