મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે,આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે.રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની તથા ડેરી બ્રાન્ડની ખ્યાતિ પ્રાપ્ત અમૂલ દ્વારા ખેડૂતથી ટેક્નોલોજી સુધી સહકારને સ્માર્ટ બનાવતી નવિન અમૂલ એ.આઈ. ક્રાંતિનો પ્રારંભ અવસર આણંદમાં યોજવામાં આવ્યો હતો.
20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,પાછલા 11 વર્ષમાં દેશની આર્થિક વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી છે તેમાં ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે.આજે ભારત યુ.પી.આઈ.ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર બની ગયું છે અને નાનામાં નાનો વેપારી, શાકભાજીની લારી,ચાની કીટલી સુધીના નાના લોકો પણ ડીજીટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરતા થઈ ગયા છે.તે તેની આગવી સફળતા છે.સરકાર,સહકાર અને ટેકનોલોજીની ત્રિવેણીથી આધુનિક વિકાસની ગતિ અનેક ગણી વધી ગઈ છે તેને હવે એ.આઈ.વધુ સંગીન બનાવશે. ડેરી ઈકો સિસ્ટમને મજબૂત કરવા 20 હજાર વેટરનરી પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે વિશેષ ફંડની કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરી છે.













