અનંત નિર્જરાલક્ષી ચાતુર્માસ-2026 અંતર્ગત પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આણંદમાં તપસ્વીઓનો ભવ્ય રાજાશાહી વરઘોડો યોજાયો હતો. આણંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના નેજા હેઠળ અને પૂજ્ય પન્યાસપ્રવર અનંતજ્ઞાન વિ.મ.સી આદિ સાધુ-સાધ્વી ભગવંતોની પાવન નિામાં યોજાયેલી શોભાયાત્રામાં ચાર ગચ્છના જૈન સમાજે મોટી સંખ્યામાં જોડાઈ તપસ્વીઓની અનુમોદના કરી હતી. સવારે શરૂ થયેલી શોભાયાત્રામાં રજતથી કરાયેલી સુંદર અંગરચના સાથે મહાવીર પરમાત્માને ભવ્ય બગીમાં બિરાજમાન કરાવી નગરચર્ચા કરાવવામાં આવી હતી. તેમની સાથે તપસ્વીઓ માટેની સાત ભવ્ય બગીઓ તથા વિવિધ શણગારેલા વાહનો જોડાયા હતા. બેન્ડ વાજાના કલાકારો, નાસિક ઢોલ અને શરણાઈ મંડળીના સૂર-નાદે મુખ્ય રાજમાર્ગોને ભક્તિમય બનાવી દીધા હતા. માર્ગમાં શ્રાવક-શ્રાવિકાઓ અને નગરજનોએ પરમાત્મા તથા તપસ્વીઓની ભાવપૂર્વક અનુમોદના કરી હતી. વરઘોડો મંગલધામ પરત ફર્યા બાદ યોજાયેલા વિશાળ સ્વામીવાત્સલ્યમાં 1,400 થી 1,500 શ્રાવક-શ્રાવિકાઓએ પ્રસાદનો લાભ લીધો હતો. પૂજ્ય આચાર્ય અનંતયશસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય પન્યાસપ્રવર અનંતજ્ઞાત વિ.મ.સા. આદિ સાધુ-સાધ્વી ભગવંતોની પાવન પ્રેરણા તથા જૈન સંઘના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ આયોજનમાં ચાર ગચ્છના સમાજે એકસાથે જોડાઈ પર્યુષણની પુર્ણાહુતિને ભક્તિ, તપ અને સામાજીક એકતાના યાદગાર પ્રસંગમાં ફેરવી દીધી હતી.
