આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં અંજુમન હાઈસ્કૂલ પાછળ આવેલો બિસ્માર માર્ગ સ્થાનિકો માટે ભારે હાલાકીનું કારણ બન્યો છે. આ માર્ગ સાથે જોડાયેલી આઠથી વધુ સોસાયટીઓના 200થી વધુ પરિવારો દ્વારા પાકા રોડની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાલેજ ગામમાં બાગે ઈબ્રાહિમ, બાગે મુસ્તુફ, અદનાન પાર્ક સહિતની આઠથી વધુ સોસાયટીઓમાં 200થી વધુ મકાનો આવેલા છે. અહીં રહેતા એક હજારથી વધુ લોકોને મુખ્ય રોડ સુધી પહોંચવા માટે વર્ષોથી ખાડા-ટેકરાવાળા માર્ગ પરથી પસાર થવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું નથી.

ચોમાસાની ઋતુમાં આ માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. રસ્તા પર કાદવ-કીચડ ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાડાઓના કારણે બાળકો અને વૃદ્ધો પડી જવાના બનાવો પણ બને છે, જ્યારે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ અંગે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશ ફરીદમીંયા મલેકે જણાવ્યું હતું કે, આઠથી વધુ સોસાયટીઓમાં 200થી વધુ મકાનો આવેલા છે, પરંતુ મુખ્ય રોડ સાથે જોડતો માર્ગ વર્ષોથી બન્યો નથી. ચોમાસામાં કાદવ-કીચડના કારણે બાળકો અને વૃદ્ધોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક પાકો રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય સ્થાનિક સઈદમિંયા ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષોથી રોડની સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાડા-ટેકરાવાળા માર્ગના કારણે લોકો મુશકેલી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે નેતાઓ રોડ બનાવવાના વચનો આપે છે,

પરંતુ ત્યારબાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જો આગામી દિવસોમાં આ માર્ગને પાકો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યુંકે તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો