આણંદ જિલ્લાના બાકરોલ વિસ્તારમાં અંધશ્રદ્ધાના બહાને મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક યુવકને તાંત્રિક વિધિ દ્વારા 'નાણાનો વરસાદ' કરવાની લાલચ આપી કુલ રૂપિયા 49.34 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તાંત્રિક વિધિ બતાવી વિશ્વાસમાં લીધો

ઘટનાની મળતી વિગતો અનુસાર, બાકરોલના પઠાણવાડા વિસ્તારમાં રહેતા મહેમુદખાન અશરફખાન પઠાણ નામના શખ્સે ભાવનગરના યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આરોપીએ યુવકને પોતાના ઘરે અને ફાર્મહાઉસ પર બોલાવી તાંત્રિક વિધિ કરી હતી. આ દરમિયાન તેણે રૂ. 14 લાખની નોટોનો વરસાદ થતો હોવાનું બતાવી યુવકનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ બહાને કુલ રૂ. 49,34,000 પડાવી લીધા હતા.

DySP અને FSL દ્વારા તપાસનો દોર

છેતરપિંડીનો અહેસાસ થતા ભોગ બનનાર યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી (DySP) અને FSLની ટીમે તાત્કાલિક બાકરોલ સ્થિત આરોપીના ઘર અને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે.

નોટોનો વરસાદ બતાવવા માટે આરોપીએ કઈ ટેકનિક કે કરામત વાપરી હતી તે દિશામાં પણ એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે મહેમુદખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાણાની લાલચ અને અંધશ્રદ્ધા માણસને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે.


આ પણ વાંચો - સુરત SBI 50 લાખ લૂંટ કેસના આરોપીને પોલીસે મારી ગોળી