કરમસદ-આણંદ મહાનગરપાલિકા (મનપા) દ્વારા શહેરની એક જાણીતી હોટલ સનરાઇઝ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સીલ કરી દેવામાં આવી છે. મનપા સાથેના કરારની શરતોનો ભંગ કરવા બદલ અને અગાઉ આપેલી નોટિસનો સંતોષકારક જવાબ ન આપવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે.


આણંદમાં હોટલ સનરાઇઝ સીલ કરાઇ

પ્રાપ્ત માહિતી અનુસાર, હોટલ સનરાઇઝને મનપા દ્વારા જે જગ્યા કે પરવાનગી આપવામાં આવી હતી, તેમાં મુખ્ય શરત એ હતી કે હોટલ પરિસરમાં નોનવેજનું વેચાણ કરી શકાશે નહીં. જોકે, હોટલ સનરાઇઝ દ્વારા આ શરતનો સ્પષ્ટ ભંગ કરવામાં આવતો હોવાનું મનપાના ધ્યાનમાં આવ્યું હતું. શરતભંગ થતાં, મહાનગરપાલિકા દ્વારા હોટલ મેનેજમેન્ટને આ અંગે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, હોટલ સત્તાવાળાઓ દ્વારા આ નોટિસનો યોગ્ય અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.

શરતનો ભંગ કરતા નોટિસ અપાઇ હતી

નોટિસનો જવાબ ન મળતા અને સતત શરતોનો ભંગ થતો હોવાથી, આખરે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કાયદાકીય કાર્યવાહી કરીને હોટલ સનરાઇઝને સીલ કરી દીધી છે. મનપા દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીએ અન્ય વેપારીઓ અને સંસ્થાઓને પણ મનપા સાથેના કરારો અને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: