અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામ નજીક આવેલા તળાવ કિનારે દીપડો નજરે પડતો હતો. જેના કારણે ખેડૂતો તથા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

વન વિભાગની કામગીરી દરમિયાન દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડાના કારણે પશુઓ અને ખેતરમાં જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. વન વિભાગ દ્વારા દીપડાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં વિસ્તારમાં વન વિભાગદ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.