અંકલેશ્વરના ઐતિહાસિક પંચાટી બજાર સ્થિત પ્રાચીન શ્રીરાધા-વલ્લભ મંદિરમાં બુધવારે શ્રાવણ માસ નિમિત્તે સૂકા મેવાના અલૌકિક હિંડોળા મનોરથ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ હાજરી આપી પ્રભુના રમણીય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનું અત્યંત વિશિષ્ટ અંગ છે. પૌરાણિક માન્યતા મુજબ વ્રજમાં પ્રભુ શ્રી ગિરિરાજજીની કંદરામાં શ્રી સ્વામિનીજી સહિત પ્રભુ પ્રેમથી ઝૂલ્યા હતા. તેની પવિત્ર સ્મૃતિ સ્વરૂપે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન વિવિધ હવેલીઓ અને મંદિરોમાં આવા અલૌકિક મનોરથો યોજાય છે. હિંડોળા ઉત્સવ એ પ્રભુને પ્રેમથી ઝુલાવવાનું આનંદમય પર્વ છે. મંદિરમાં પ્રાચીન પરંપરા મુજબ હિંડોળા ભરવાની તેમજ અષ્ટસખાના કીર્તન ગાયનની સેવા દાદાજી સ્વ. રજનીકાંત હીરાલાલ દેસાઈના સમયથી ચાલતી આવે છે. આ દાદાજીનો પવિત્ર વારસો તેમના પૌત્ર્ કરણ શીતલકુમાર દેસાઈ તથા તેમના પરિવારજનો દક્ષાબેન દેસાઈ, પલક દેસાઈ અને દર્શિતા દેસાઈ પૂરા ભાવ અને શ્રાદ્ધાથી આજે પણ સાચવી રહ્યા છે.
