અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ગત તા.7 જૂનના રોજ એક મોટી દુર્ઘટના સામે આવી હતી. અહીં આશરે 30 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત પ્રશાસનની લાપરવાહી સામે આવી છે. ટાંકીના વાયરલ થયેલા ફોટામાં આ એક ષડયંત્ર હોવાની પણ ચાડી ખાય છે.


ટાંકી અત્યંત જર્જરિત હોવાની વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રએ તેને વહેલી તકે ઉતારી લેવાના બદલે માત્ર સમારકામના નામે થીગડા મારવાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. હવે આ મામલે અકસ્માત પહેલા ટાંકીની જોખમી સ્થિતિના ફેટા વાયરલ થયા છે જેમાં બે શક્યતાઓ જણાઇ રહી છે. પહેલી શક્યતા એવી છે કે ટાંકીના બે પોલને કેટલાક તોફાની અસામાજિક તત્વો દ્વારા જાણી જોઇને તોડવામાં આવ્યા હતા કે જેથી મોટો અકસ્માત સર્જાય. બીજી શક્યતા એવી છે કે ટાંકી ખરેખર જર્જરિત હતી અને ગ્રામ પંચાયતે તેની સામે ભયંકર બેદરકારી દાખવી.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવાથી વર્ષ 2023માં જ તેને ઉતારી લેવા માટે પંચાયતમાં સત્તાવાર અરજી કરવામાં આવી હતી. પરંતુ, ઊંઘતા તંત્રએ આ સોસાયટીની ખાનગી માલિકીની ટાંકી હોવાનું બહાનું આગળ ધરીને પોતાની જવાબદારીઓમાંથી હાથ અધ્ધર કરી લીધા હતા. એટલું જ નહીં, પંચાયતે રહીશોને પોતાની રીતે જ ટાંકી ઉતારી લેવાનો લેખિત ઠરાવ પણ પકડાવી દીધો હતો. નવાઈની વાત તો એ છે કે, જે ટાંકીને ખાનગી ગણાવાતી હતી તેને જ પાછળથી સરકારી આયોજનમાં નવી બનાવવા માટે મંજૂર પણ કરાઈ હતી. પ્રશ્ન એ થાય છે કે જ્યાં સુધી નવી ટાંકી ન બને ત્યાં સુધી આ બિસ્માર માળખાને ઉતારી લેવાના બદલે પંચાયતે તેના પર માત્ર ઉપરછલ્લું જોખમી સમારકામ કેમ ચાલુ રાખ્યું?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: