ત્રણ રસ્તા વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ શાક માર્કેટને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય હોબાળા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે એવા ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે, જે સમગ્ર ઘટનાને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવાની ફરજ પાડે છે. સવાલ એ ઊભો થયો છે કે જે માર્કેટ વર્ષોથી ગેરકાયદે રીતે સરકારી જમીન પર ચાલી રહ્યુ હતુ, તેના બચાવમાં આખરે કોના હિતો જોડાયેલા હતા? જેવા સવાલો પણ ખડા થયા છે.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ શાક માર્કેટનો એક ભાગ પી.ડબ્લ્યુ.ડી વિભાગની માલિકીની જમીન પર જ્યારે બાકીનો ભાગ નગરપાલિકાની હદમાં આવેલી સરકારી જમીન પર ઉભો કરવામાં આવ્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે આ માર્કેટ માટે કોઈ સત્તાવાર મંજૂરી, લાયસન્સ કે કાયદેસર પરવાનગી લેવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા નથી. એટલે કે વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ ચાલતુ રહ્યુ અને જવાબદાર તંત્રો આંખ આડા કાન કરતા રહ્યા.










