અંકલેશ્વર શહેરના મુલ્લાવાળા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી રસ્તાની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. લાંબા સમયથી બાકી રહેલી માંગણી બાદ તંત્ર દ્વારા હવે માર્ગ પર પથ્થર નખાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. વરસાદી મોસમ નજીક આવી રહી હોવાથી માર્ગનું સમારકામ અને પથ્થર નખાવવાની કામગીરી અત્યંત જરૂરી બની હતી. ગટરોના ઢાંકણા પણ ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય ઉભો થયો હતો. આખરે ત્રણ મહિના બાદ કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેથી વિસ્તારમાં અવરજવર વધુ સુગમ બની શકે. સ્થાનિક લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાના નિવારણ માટે કરવામાં આવેલી કામગીરી વિસ્તારના લોકો માટે રાહતરૂપ સાબિત થશે.










