નર્મદા નદીના કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ નારેશ્વરધામ ખાતે પ.પૂ.ગુરુહરિ શ્રી રંગ અવધૂત મહારાજના દિવ્ય જીવનચરિત્ર પર આધારિત ગુજરાતી બાયોપિક ફ્લ્મિ રંગ અવધૂતનું ટીઝર ગુરુપૂર્ણિમાના દિવસે તા. 29 જુલાઈના રોજ મંદિર પરિસરના વિશાળ હોલમાં સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ભક્તજનો માટે રજૂ કરાશે.

ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત દેશ- વિદેશમાંથી હજારો ભક્તો પૂજ્ય બાપજીના દર્શન અને આશીર્વાદ મેળવવા નારેશ્વરધામ ખાતે ઉમટી પડે છે. ત્યારે આ અવસરે નારેશ્વરધામ ટ્રસ્ટ અને ફ્લ્મિના નિર્માતાઓના સંયુક્ત પ્રયાસથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ બાયોપિકમાં પૂજ્ય બાપજીના ગોધરામાં વિતેલા બાળપણથી લઈને અભ્યાસ જીવન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલું યોગદાન, નર્મદા પરિક્રમા, નારેશ્વરધામમાં કરેલી કઠોર તપસ્યા, માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ જેવા જીવનમંત્રો તેમજ શ્રી દત્ત બાવની અને અન્ય આધ્યાત્મિક સાહિત્યના સર્જનની પ્રેરણાદાયી યાત્રાને જીવંત સ્વરૂપે રજૂ કરાઈ છે. આ બાયોપિક માત્ર એક ફ્લ્મિ નહીં, પરંતુ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ગુરુભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિક જીવનના અમૂલ્ય સંસ્કારો સાથે જોડતો એક પ્રયાસ સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો