અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લૂંટ ચલાવતા બે ભેજાબાજ શખ્સોને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સો સાધુનો વેશ ધારણ કરી કાળો જાદુ અને મંત્ર-તંત્રના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. ધનસુરા પોલીસ મથકે નોંધાયેલા આ ગંભીર ગુનાને એસ.ઓ.જી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ડિટેક્ટ કરી સફળતા મેળવી છે.


9.90 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂ. 9.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં છેતરપિંડી કરીને મેળવેલી રોકડ રકમ, સોના-ચાંદીના કિંમતી દાગીના, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કારનો સમાવેશ થાય છે. આ શખ્સો આલીશાન ગાડીમાં સાધુ બનીને ફરતા હતા અને લોકોના દુઃખ દૂર કરવાના બહાને અથવા તો ઘરે દન દટાયેલું હોવાની લાલચ આપી વિધિના નામે છેતરપિંડી આચરતા હતા.

પોલીસ તપાસ શરુ

અરવલ્લી એસ.ઓ.જી. પોલીસની સતર્કતાને કારણે છેતરપિંડી આચરતી આ ટોળકીના સભ્યો પકડાઈ ગયા છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે બંને આરોપીઓનો કબજો અને જપ્ત કરેલો મુદ્દામાલ આગળની તપાસ માટે ધનસુરા પોલીસને સોંપ્યો છે. આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને આ ગુનામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો---    Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ

  • Follow us on: