પાલનપુર શહેરમાં બપોરના સુમારે પિક્ચર જોવા ગયેલા દર્શકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જે અંગે પિક્ચર જોવા ગયેલા દર્શકોના જણાવ્યા અનુસાર બપોરે 3:30 વાગ્યાથી 6:00 વાગ્યા દરમ્યાન શોમાં સાંજના ઈન્ટરવેલ પછીના સમયે વરસાદના કારણે થિયેટરની અંદર છતમાંથી પાણી પડવા લાગ્યું હતું અને થિયેટરમાં પાણી પડવાને કારણે સ્પીકર તેમજ વાયર અને ગાલીચા પાણીમાં પડયા હતા. સાથે સાથે અહીં વીજ કરંટનો ભય પણ હતો. આમ દર્શકોના જીવ જોખમમાં મુકાતા કેટલાક દર્શકો બહાર દોડી ગયા હતા અને પિક્ચરના સમયના અંતિમ દસ મિનિટ બાકી હતી. તે સમયે સમસ્યા વધુ જણાતાં દર્શકો બહાર નીકળી ગયા હતા અને પેમેન્ટ રિટર્ન બાબતે હોબાળો મચાવ્યો હતો. જો કે આ બાબતે કેટલાક દર્શકોને પેમેન્ટ રિટર્ન કરવામાં આવ્યું હતું. જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેમને ઓનલાઈન પેમેન્ટ રિટર્ન થશે તેમ ખાતરી આપવામાં આવી હતી. ત્યારે વરસાદ દરમ્યાન થિયેટરમાં પાણી ક્યાંથી આવ્યું અને થિયેટરમાં લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ હોવા છતાં શો ચાલુ રાખવામાં આવતા આ અંગે દર્શકોએ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે સુરમંદિર થિયેટરના મેનેજર વિનોદભાઈ પટેલનો સંપર્ક કરતા તેમ જણાવ્યું હતું કે વરસાદના કારણે પીઓપીનો પટ્ટો પડી ગયો હતો અને અન્ય કોઈ નુકશાન થયું નથી.
