સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬'નું આયોજન કરાશે.

અંબાજી ગબ્બર પરિક્રમા પથ

આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેકટરે શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે, એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું.

દર વર્ષે મહા સુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે ઉજવણી કરાય છે 

તેમણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી માઈ ભક્તોને આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, શ્રદ્ધાળુઓનું નિશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : Rajkot News : ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા