ભાભર શહેરના વોર્ડ નં 2 માં ભાભરના વિજયનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. મુખ્ય રસ્તા પર ગટરનું પાણી ઉભરાઈને ફેલાતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ભાભર-દિયોદર ત્રણ રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ જતાં મુખ્ય માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ભુગર્ભ ગટર ના ગંદા પાણી નો સામનો કરી રહેલા સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ઉભી થઈ છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ખાસ કરીને મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ સોસાયટીમાં સફાઈ પણ થતી નથી.
આક્રોશિત રહીશોએ સોસાયટીમાં બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. તેઓએ ચીમકી આપી છે કે જો ગટરનું પાણી તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ ઉમેદવારને પ્રચાર કરવા પ્રવેશ આપવામાં નહીં આવે તેવું કહી રહીશો કહી રહ્યા છે.સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, કોર્પોરેટરો મત માંગવા તો આવે છે, પરંતુ જીત્યા બાદ અમારા વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી તેવા આક્ષેપ કરી હોબાળો મચાવ્યો છે હાલમાં પ્રશ્ન એ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું કારણ કે ગંભીર સમસ્યાથી લોકોનો ગુસ્સો દિવસેને દિવસે વધી રહ્યો છે.
ભુગર્ભ ગટર ઉભરાઈ રહી હોવા બાબતે રહીશોએ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી.ગંદા પાણીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે. જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી રહીશોએ ઉચ્ચારી છે.સોસાયટીના મુખ્ય જાહેર રસ્તા પર ચુંટણી બહિષ્કાર ના બેનર લગાવી રહીશોએ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો