દાંતીવાડાના ઝાત ગામે ખનન માફિયાઓના ત્રાસથી ગ્રામજનોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. સીપુ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ દોડતા ડમ્પરોને કારણે એક આશાસ્પદ યુવક દિનેશભાઈનું મોત થતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.આક્ષેપ છે કે,મૃતક યુવકે ગેરકાયદેસર ખનન મામલે તંત્રને ઈમેલ કરીને રજૂઆત કરી હતી.જેના થોડા જ દિવસોમાં ડમ્પરની ટક્કરથી તેમનું મોત થયું છે.
જિલ્લામાં ખનન માફિયાઓની દાદાગીરી
આજે પાલનપુરના કોઝી વિસ્તારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચેલા ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માગ કરી છે.ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખાણ ખનીજ વિભાગે તપાસની ખાતરી આપી છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભૂસ્તર વિભાગ માત્ર કાગળ પર તપાસ કરે છે કે ખરેખર ખનન માફિયાઓ પર તવાઈ બોલાવે છે.આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખનન માફિયાઓની દાદાગીરી સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.













