ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય પોતાની સફળતાના 20 વર્ષ પુર્ણ કરીને 21 માં વર્ષમાં મંગેલ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થકી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં તા.1-9-26 ના રોજ પ્રાર્થના વિદ્યાલયની 21 મી વર્ષગાંઠના પાવન અવસર તથા ભક્તિમય શ્રાવણ માસ નિમિત્તે શાળાના પટાંગણમાં સંગીતમય સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ નિમિત્તે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો.ના ટ્રેઝરર કિર્તીભાઈ શાહ, નારાયણ વિદ્યાવિહાર સ્કુલના આચાર્ય ડો.મહેશભાઈ ઠાકર અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઈ પાટણવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ તથા ડો.માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં જય અંબે કલાવૃંદના ગાયક સંદિપભાઈ પુરાણી તથા અન્ય સભ્યોએ તેમના મધુર અવાજ અને મંત્રોચ્ચાર થકી શાળાના સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી ભરી દીધુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 1250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય શ્રુંતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કાંડના પાઠ યોજાયા હતાં. આ નિમિત્તે શાળાના વાલીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
