ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હોલ ભરૂચ ખાતે શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષણગણને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. સમારોહ દરમ્યાન વર્ષ 2026 ના શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક શાળા મોરતલાવ, આ.શિ.શિક્ષક નિરવકુમાર દેવજીભાઈ પટેલ, માધ્યમિક વિભાગમાં ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ડેબાર અને મદદનીશ શિક્ષક જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલય સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરાયા હતા. ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા નોબારીયા, અંકલેશ્વર નમ્રતાબેન કેશવલાલ બારૈયા અને રેલ્વે વિસ્તાર પ્રા.મિ.શા.જંબુસર, પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન યુસુફ મુન્શીને પણ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા. વિષયમાં 100 ટકા રિઝલ્ટ લાવતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ લાવતા, વ્યકિતગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાઓના શિક્ષકોને પણ અભિનંદન પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિશા પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નગર પાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
