ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. 10 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ-અલગ પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે.

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે સહકાર પેનલ દ્વારા હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં શક્તિપ્રદર્શન સાથે પોતાનું નામાંકન ભર્યું હતુ. બીજી તરફ્ 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં ઇશ્વરસિંહ પટેલ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ સાથે 12 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા, જ્યારે સહકાર પેનલના પાંચ ઉમેદવારો બિનહરીફ્ થયા છે. હવે 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી તથા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.ત્યારબાદ 5 સપ્ટેમ્બરે મતદાન અને 6 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે. બે ભાઈઓ અલગ-અલગ પેનલ સાથે મેદાનમાં હોવાથી પંડવાઈ સુગરની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. આ પ્રસંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, 1998માં ફેક્ટરીનો વહીવટ સંભાળ્યો ત્યારે શેરડીની અછત સાથે આશરે રૂ.40 કરોડનું દેવુ હતુ.ટૂંકા સમયમાં દેવું ચૂકવી ફેક્ટરીને દેવામુક્ત કરવામાં આવી હતી.સહકાર પેનલને 90 ટકાથી વધુ સભાસદોનું સમર્થન મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.