ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કિન્નરોના ત્રાસની ફરિયાદો વધી રહી છે. તાજેતરમાં બે દિવસ પહેલા શહેરના એક સામાન્ય ભંગારના વેપારી પર ચાર કિન્નરોએ આતંક મચાવી, તેને લૂંટી લેવાની અને માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.ભંગારની વસ્તુઓ વેચીને પોતાનું પેટીયું રળતા એક આધેડ વેપારી પાસે ચાર કિન્નરોએ અચાનક આવીને રૂપિયાની માંગણી કરી હતી.
ભાવનગરમાં કિન્નરોના ત્રાસની ફરિયાદો વધી
વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા કિન્નરોએ આધેડ પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ વેપારી પાસેથી 150 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને દુકાનમાં નુકસાન પહોંચાડી તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યા હતા. પીડિત વેપારીએ હિંમત દાખવીને સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને લૂંટ, મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ચારેય કિન્નરોની ધરપકડ કરી લીધી છે.










