ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે નજીવી બાબતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. આ મામલો એટલો ગરમાયો હતો કે તેમાં એક વૃદ્ધ દંપતીને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ સમગ્ર ઘટના બાદ, આ વિવાદે સામાજિક રંગ પકડ્યો છે. આજે ભરવાડ સમાજના આગેવાનો દ્વારા 10 ગામના લોકોની એક મોટી મિટિંગ દેવળીયા ગામે યોજવામાં આવી હતી.


ભરવાડ સમાજ દ્વારા ગંભીર આક્ષેપ

આ બેઠકમાં ભરવાડ સમાજના આગેવાનોએ પાટીદાર સમાજ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે, નજીવી બાબતોને પાટીદાર સમાજ મોટું સ્વરૂપ આપીને ભરવાડ સમાજને જાણી જોઈને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યો છે.

દેવળીયામાં નજીવી બાબતમાં વૃદ્ધ દંપતીને માર માર્યો

તેમનો આક્ષેપ છે કે, પાટીદાર સમાજ દ્વારા તેમના સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ મામલે શાંતિ જાળવીને સમાજને બદનામ કરતા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. અથડામણના આ બનાવ બાદ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો તરફથી સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને જૂથોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ગામમાં શાંતિ જળવાઈ રહે અને તણાવ ન વધે તે માટે જરૂરી પગલાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: