ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયાને માર મારવાના કેસમાં રાજ્યભરમાં ચર્ચા જાગી છે, ત્યારે આ મામલે જયરાજ આહીર આજે પોતે ભાવનગર IG કચેરી ખાતે હાજર થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તપાસમાં પોલીસને પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા તપાસ દરમિયાન જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે, ત્યારે તેઓ હાજર રહેશે. આ નિવેદન સાથે તેમણે તપાસ પ્રક્રિયા પ્રત્યે પોતાનો સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો છે.
જયરાજ આહીર એક્શન મોડમાં
જયરાજ આહીરે વધુમાં ઉમેર્યું હતું કે, તેમને દેશના ન્યાયતંત્ર અને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. આ કેસમાં જે કંઈ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને અંતે જે નિર્ણય આવશે, તે તેમને શિરોમાન્ય રહેશે. આ કેસમાં સત્ય શું છે તે તપાસ બાદ બહાર આવશે તેવી આશા સાથે તેમણે શાંતિ જાળવવા અને કાયદાને માન આપવાની વાત કરી હતી. હાલમાં IG કચેરી ખાતે તેમની પ્રાથમિક પૂછપરછ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.













