બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે લાલ આંખ કરી છે. ગત 16 ડિસેમ્બરના રોજ પાળીયાદ રોડ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી, પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે તપાસનું રિ-કન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું.
પાળીયાદ રોડ પર જીવલેણ હુમલામાં કાર્યવાહી
ઘટનાની વિગત મુજબ, બોટાદના પાળીયાદ રોડ પર આવેલી 'હજામની શીંડી' વિસ્તારમાં ઈમરાન ગાંજા નામનો વ્યક્તિ એક હોટલમાંથી જમીને બહાર નીકળી રહ્યો હતો. આ સમયે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચાર શખ્સોએ અચાનક લાકડીઓ વડે તેના પર તૂટી પડ્યા હતા. ઈમરાન પર થયેલો આ હુમલો એટલો ગંભીર હતો કે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
CCTV વાયરલ થતા પોલીસ એક્શનમાં
આ સમગ્ર હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં હુમલાખોરો ક્રૂરતાપૂર્વક માર મારતા દેખાતા હતા. આ ફૂટેજના આધારે બોટાદ પોલીસે તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ચારેય શક્તિરાજ બસીયા, જયદીપભાઈ ખાચર, મયદીપભાઈ ખાચર, દીપરાજભાઈ જોરૂભાઈ.હુમલાખોરોને દબોચી લીધા હતા.
પોલીસ દ્વારા ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન
ધરપકડ બાદ પોલીસે આરોપીઓને પાળીયાદ રોડ પર જ્યાં હુમલો થયો હતો ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ગુનો કઈ રીતે આચરવામાં આવ્યો, કયા સાધનોનો ઉપયોગ થયો અને હુમલા પાછળનો હેતુ શું હતો તે જાણવા માટે રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને જોવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા.
આ પણ વાંચો:ઈડરની લાલોડા દૂધ મંડળીમાં 53.53 લાખની ઉચાપત, સેક્રેટરી અને ટેસ્ટર જેલહવાલે