બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામે આવેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પ્રવીણભાઈ ઝાલા વિરુદ્ધ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે અડપલા અને છેડતી કર્યાના આક્ષેપોને લઈને રાણપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ મામલે બરાનિયા ગામના રહીશો દ્વારા મોટી સંખ્યામાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના વધુમાં જણાવ્યા મુજબ, આચાર્ય દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારવા તેમજ વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરવાના આક્ષેપો અંગે ચર્ચાઓ અને ફરિયાદો સામે આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, આ અગાઉના આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે રાણપુર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાણપુર પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત સામે આવવાની શક્યતા છે.
