સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે તારીખ 01-01-2026, ગુરુવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-અડદિયો-મોહનથાળનો મિક્સ અન્નકૂટ ધરાવાયો.
વર્ષ 2026ના પ્રારંભે દાદાના દર્શનાર્થે ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડયું હતુ
દાદાને આજે ખાસ વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઈન ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના સિંહાસનને આકર્ષક પ્રાકૃતિક શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સવારે 5:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેનસંતવલ્લભદાસ સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું
પવિત્ર ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી તા. 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વમાં શાંતિ અને પારિવારિક સુખ-સમૃદ્ધિ જળવાય તે હેતુથી મંદિરમાં વિશેષ જાપ યજ્ઞ કરવામાં આવ્યો છે. પવિત્ર ભુદેવો દ્વારા "શ્રી હનુમાન ચાલીસા" અને વિશેષ મંત્ર "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા"ના સામૂહિક પાઠ કરવામાં આવી રહ્યા છે. સમય: દરરોજ સવારે 7:00 થી 12:00 અને બપોરે 3:00 થી સાંજે 6:30 કલાક સુધી આ જાપ યજ્ઞ ચાલુ રહેશે. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શન અને આરતી-મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ લઈને ધન્યતા અનુભવી હતી.









