સંખેડા : સંખેડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી પર્વની ભારે ભક્તિભાવપૂર્ણ માહોલ વચ્ચે ઉજવણી કરાઇ હતી. મધરાતે 12ના ટકોરે સમગ્ર નગર નારાઓથી કૃષ્ણમય બન્યું હતું. જે બાદ શનિવારે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા. સંખેડા નગર સહિત તાલુકામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વને લઈ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સંખેડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ભાવિક ભક્તો દ્વારા પૂજા આરતીના કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું હતું. શ્રી દ્વારકાધીશ, અંબાજી માતા મંદિર સહિતના મંદિરોમાં સાંજ થતાં ભજનની રમઝટ જામી હતી. રાત્રે 12ના ટકોરે જય રણછોડ માખણ ચોર, જય કનૈયા લાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગન ભેદી નારાઓથી સમગ્ર નગરનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. જે બાદ શનિવારે મટકી ફોડના કાર્યક્રમ પણ યોજાતા જેમાં ગોવિંદાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
