વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય અને ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાઇ રહી છે. આ પર્વ અંતર્ગત સોમનાથ ખાતે 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદ અને મંત્રોચ્ચારનું આયોજન કરાયું છે.
આ પાવન અવસર પર છોટાઉદેપુર જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ટ ગ્રામીણ પર્યટન સ્થળ સ્પર્ધા 2024નો એવોર્ડ મેળવનાર હાફેશ્વર ખાતેના મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, જબરેશ્વર (પંચેશ્વર) મહાદેવ મંદિર સહીત તમામ મહાદેવ મંદિરોમાં પણ સવારે 9 કલાકથી સતત 72 કલાક સુધી ઓમકાર નાદ તથા વિવિધ વૈદિક મંત્રોચ્ચાર કરાઇ રહ્યાં છે. ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે જ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે જે ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક સંયોગના અવસરે સોમનાથના શૌર્ય, સંઘર્ષ અને સ્વાભિમાનના ગૌરવમય ઇતિહાસને સમગ્ર દેશ યાદ રાખે અને ભાવિ પેઢી સુધી પહોંચે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરાયું છે.










