કવાંટની કરા નદીમાં ઘણાં સમયથી ગટરનું ગંદુ પાણી સીધું ભળી રહ્યું હોવાની ગંભીર સમસ્યા છે. દશામા વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે જવારા તેમજ મૂર્તિના વિસર્જન હોવા છતાં સ્થાનિક તંત્ર કે પંચાયત દ્વારા નદીના પટની સફાઈ કે, ગટરનું પાણી રોકવા માટે કોઈ જ વ્યવસ્થા કરાઇ ન હતી.

તંત્રની આ ઘોર બેદરકારીને કારણે શ્રાદ્ધાળુ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મા દશામાની મૂર્તિ અને જવારાનું વિસર્જન ગંદા પાણીમાં ન કરવું પડે તે માટે આખરે શ્રાદ્ધાળુએ પોતે જ આગળ આવીને શ્રામદાન કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક યુવકોએ એકઠા થઈ કરા નદી પટમાં કચરાની સફાઈ કરી હતી. નદીમાં ભળતા ગટરના પાણીને અટકાવીને અન્ય તરફ્ વાળી સ્વચ્છ પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરી હતી. શ્રાદ્ધાળુઓની આ જાત-મહેનતને કારણે હવે આવતીકાલે માતાજીની મૂર્તિઓ અને જવારાનું વિસર્જન પવિત્ર અને સ્વચ્છ પાણીમાં થઈ શકશે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, ધાર્મિક આસ્થાના આટલા મોટા પર્વ અગાઉ તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવી જોઈતી હતી.