આજરોજ નસવાડી તાલુકામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પધારેલા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા સાંસદને TET પરીક્ષા અંગેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા TET શિક્ષક યોગ્યતા કસોટી ફ્રજિયાત કરવા અંગે આપેલા ચુકાદાને પગલે સેવારત પ્રાથમિક શિક્ષકોમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી છે. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું કે, વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા અનુભવી શિક્ષકોની નોકરી અને બઢતી માટે મુશ્કેલી થઈ છે.










