સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર જિલ્લાની હદમાં લીંબડી તાલુકાના જનશાળીથી ચોટીલાના બામણબોર સુધી અનેક હોટેલ આવેલી છે. છેલ્લા થોડા સમયથી આ હોટલના સંચાલકોની મિલીભગતથી વિદેશી દારૂની હેરાફેરી, કેમીકલ ચોરી, ગેસ ચોરી, લોખંડ ચોરી, ડીઝલ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃતીઓએ માઝા મુકી હતી. ત્યારે એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી સાયલા, લીંબડી અને ચોટીલા પોલીસે તમામ હોટેલ સંચાલકો સાથે બેઠક કરી ગેરકાયદેસર પ્રવૃતીઓ બંધ કર દેવા કડક સુચના આપી હતી. આ ઉપરાંત હોટેલ અંગેના આધાર-પુરાવા પણ રજુ કરવા જણાવ્યુ હતુ. જેમાં ચોટીલા પોલીસ મથક વિસ્તારમાં નાની મોલડી ગામ પાસે આવેલ ન્યુ નાગરાજ હોટલ અને જય વડવાળા હોટલ દ્વારા કોઈ આધાર પુરાવા રજુ કરાયા ન હતા. આથી બન્ને હોટલો મહેસુલ વિભાગની મંજુરી વગર ગેરકાયદેસર ખડકાયેલ હોવાથી શનીવારે મોડી સાંજે બન્ને હોટલો પર જેસીબી ફેરવી દઈ અંદાજે 10 એકર જમીન પર દબાણ દુર કરી જમીન ખુલ્લી કરાઈ હતી. બીજી તરફ નાયબ કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમે રવિવારે બપોરે ચોટીલા હાઈવે પર ખેરડી ગામ પાસે જાની વડલા ગામના પુલ નીચે આવેલ અને ગેરકાયદેસર ખડકાયેલ શિવલહેરી પરોઠા હાઉસ નામની હોટેલ, બંગલો, ઘોડાસર ઉપર જેસીબી ફેરવી દેવાયું હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: