સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંથી જૈન સમાજ માટે એક અત્યંત દૂખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના મઘરીખડા ગામ નજીક સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં પૂજ્ય જૈન સાધુ મહારાજ અકાળે કાળધર્મ (દેવલોક) પામ્યા છે. આ અણધારી અને કાળમુખી ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજ સહિત ચોટીલા પંથકમાં ઘેરા શોકની કાલીમા ડિબાંગ છવાઈ ગઈ છે.

પૂજ્ય મહારાજ સાહેબની પાલખી યાત્રામાં જનમેદની ઉમટી

પૂજ્ય સાધુ મહારાજ દેવલોક પામ્યા બાદ તેમના પાર્થિવ દેહની ચોટીલા શહેરમાં એક ભવ્ય અને શોકાતુર માહોલમાં પાલખી યાત્રા (વૈકુંઠી યાત્રા) કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં પૂજ્ય મહારાજ સાહેબ પ્રત્યે આસ્થા અને અંજલિ અર્પવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ગુજરાત ભરમાંથી તેમજ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓ ચોટીલા ખાતે દોડી આવ્યા હતા. પાલખી યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ વૈરાગ્ય સભર અને ગમગીન બની ગયું હતું.

જૈન સાધુને અંજલિ આપવા ચોટીલાની મુખ્ય બજારો સ્વયંભૂ બંધ

પૂજ્ય જૈન સાધુ મહારાજ પ્રત્યે આદર અને શ્રદ્ધાંજલિ પ્રકટ કરવા માટે સમગ્ર ચોટીલાના વેપારી મહામંડળ અને સ્થાનિક નાગરિકો દ્વારા એક અનુકરણીય નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલખી યાત્રાના માર્ગ પર આવતી ચોટીલા શહેરની તમામ મુખ્ય બજારો અને વ્યાપારિક પ્રતિષ્ઠાનો સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પૂજ્ય સાધુ મહારાજને કરુણ અંજલિ અર્પણ કરી હતી. તંત્ર દ્વારા પણ પાલખી યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો