સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંથી જૈન સમાજ માટે એક અત્યંત દૂખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના મઘરીખડા ગામ નજીક સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં પૂજ્ય જૈન સાધુ મહારાજ અકાળે કાળધર્મ (દેવલોક) પામ્યા છે. આ અણધારી અને કાળમુખી ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજ સહિત ચોટીલા પંથકમાં ઘેરા શોકની કાલીમા ડિબાંગ છવાઈ ગઈ છે.
પૂજ્ય મહારાજ સાહેબની પાલખી યાત્રામાં જનમેદની ઉમટી
પૂજ્ય સાધુ મહારાજ દેવલોક પામ્યા બાદ તેમના પાર્થિવ દેહની ચોટીલા શહેરમાં એક ભવ્ય અને શોકાતુર માહોલમાં પાલખી યાત્રા (વૈકુંઠી યાત્રા) કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રામાં પૂજ્ય મહારાજ સાહેબ પ્રત્યે આસ્થા અને અંજલિ અર્પવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ગુજરાત ભરમાંથી તેમજ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અને અનુયાયીઓ ચોટીલા ખાતે દોડી આવ્યા હતા. પાલખી યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ વૈરાગ્ય સભર અને ગમગીન બની ગયું હતું.
