વરસાદ ખેંચાતા જે ખેડૂતો ચાતક ડોકે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, તે જ વરસાદે હવે ડભોઇ તાલુકામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે વરસાદ થંભી ગયાને દિવસો વીતી ગયા હોવા છતાં, ડભોઇ તાલુકાના નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે, જેના કારણે હજારો વીઘામાં વાવેલો ડાંગર અને શાકભાજીનો પાક સડી જવાનો અને સંપૂર્ણપણે નષ્ટ થઈ જવાનો મોટો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.

મુખ્યત્વે ઢાઢર નદીના કિનારે આવેલા આશરે 17 જેટલા ગામોમાં પૂરના અને વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદ બંધ થયા પછી પણ નદી કાંઠાના આ ગામોમાં પાણી હજુ સુધી ઓસરવાનું નામ લેતા નથી. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતા ડાંગરનો ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, સાથે શાકભાજીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ડભોઇ તાલુકામાં આશરે 2000 વીઘા જેટલા જમીન વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરાયું છે. ડાંગરના પાકને શરૂઆતમાં પાણીની જરૂર હોય છે, પરંતુ સતત દિવસો સુધી પાક પાણીમાં ડૂબેલો રહે તો તેનો છોડ સડી જાય છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતાં ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે. પહેલાં વરસાદ આવતો નહોતો એટલે બૂમો હતી, અને હવે જ્યારે મેઘરાજા મહેરબાન થયા ત્યારે કહેર બનીને તૂટી પડયા છે. ખેતરોમાંથી પાણી ઓસરતા નથી જેથી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાતર, બિયારણ અને મજૂરીનો મોટો ખર્ચ કર્યા બાદ હવે પાક નિષ્ફ્ળ જવાની આરે પહોંચતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતો હવે તંત્ર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે.