ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ડભોઈ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. ડભોઈના સરિતા ફટકથી લઈને નીલકંઠ સોસાયટી અને ગાયત્રી સોસાયટી સુધી નાખેલા વરસાદી કાંસના ભૂંગળા અત્યારથી જ માટી અને કચરાથી પૂરેપૂરા ભરાયા છે. જેને લઈને સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર સામે ભારે નારાજગી છે.
મળતી માહિતી મુજબ, સરિતા ફટક પાસે નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત આસપાસની અંદાજે પાંચ જેટલી સોસાયટીના રહીશો દર વર્ષે ચોમાસામાં જળબંબોળની સ્થિતિનો સામનો કરે છે. વરસાદી કાંસ અને ભૂંગળા ઠેર-ઠેરથી પૂરાયા હોવાને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. જેના લીધે દર ચોમાસે લોકોના ઘરોમાં કેડ સમાન પાણી ઘૂસી જાય છે. અને ઘરવખરીને મોટું નુકસાન થાય છે. આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. છતાં, પાલિકાના પેટનું પાણી હલતું નથી. જનતાના પ્રશ્નો અને સુવિધાઓમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દર વર્ષે અમારે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી










