ગઈકાલે 15 ઓગસ્ટના દિને દેહગામ ખાતે પંકજ સોસાયટી આગળથી ધોળા દિવસે ચાર ઇસમો યુવકને કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. અપહરણ કર્યા બાદ યુવકને અપ્રુજી નર્મદા કેનાલમાં ફેંકી દેતા પંથકમા ભારે ચકચાર મચી હતી. પ્રેમ પ્રકરણને લઈ યુવકનું અપહરણ કરી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો છે. આજે બીજા દિવસે ભારે શોધોખોળ બાદ અપહ્યત યુવકની કેનાલમાંથી લાશ મળી આવી હતી.આ ઘટનાએ શહેર સહીત તાલુકામાં ભારે ચકચાર જગાવી છે.
મળતી વિગતો મુજબ ભરતજી વિનુજી ઠાકોર (રહે. શીવનગર સોસાયટીની બાજુમાં, ઠાકોરવાસ) છુટક મજુરી કરીને ગુજરાન કરતા હતા. ગઈકાલે 15 ઓગષ્ટે બપોરે દોઢેક વાગ્યે પંકજ સોસાયટી આગળથી ભરતજી ઠાકોર સાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ચારેક અજાણ્યા શખસોએ ભરત ઠાકોરને ગડદાપાટુનો માર મારી અલ્ટો ગાડી નંબર જીજે. 09 બીબી.5499 માં તેનુ અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.
આ અપહરણની ઘટનાની જાણ દહેગામ પોલીસને કરવામાં આવી હતી. આરોપીઓ દહેગામથી રખીયાલ રોડ પર ગયા હોવાની જાણ થતા પોલીસે તાત્કાલીક અપહરણકારોની શોધ શરુ કરી હતી. પંકજ સોસાયટી નજીક આવેલા ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા ભરત ઠાકોર પાસે ચાર ઇસમો ઉભા હતા તૈ પૈકી એક ઇસમની ઓળખ વાસણા સોગઠી ગામના કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ તરીકે થઇ હતી. પોલીસે અન્ય એક સીસીટીવીમાંથી ઉપરોક્ત ગાડીનો નંબર પકડયો હતો. જોકે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવતા ગઇ કાલ મોડી રાત સુધી અપહ્યત યુવકનો કોઇ પત્તો લાગ્યો નહોતો. જે બાદ દહેગામ પોલીસે કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે શરુઆતમાં અપહરણનો ગુનો નોંધીને તપાસ ચલાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અપહ્યત કરાયેલા યુવકના ભાઇની પત્નિ સાથે આરોપી કિરણસિંહ ચૌહાણને પ્રેમસંબંધ હતો, જેની જાણ ભરત ઠાકોરને થઇ ગઇ હોવાથી તેનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. જોકે આજે અપ્રુજી કેનાલમાંથી યુવકની લાશ મળી આવતા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો