દહેગામ તાલુકાના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિ. ખાતા 80 માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે આન બાન શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો અને પરેડની સલામી ઝીલી હતી. કાર્યક્રમમાં દેશભકિતની ભાવના જગાવતી પોલીસ પરેડ યોજાઇ હતી . મોટી સંખ્યમાં યુનિ.ના વિદ્યાર્થીઓ અને જનમેદની ઉપસ્થિત રહી હતી અને ભારે હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઇ હતી, યુનિ. ખાતે વૃક્ષારોપણ કલેક્ટરે કર્યુ હતુ. દહેગામ ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણની ઉપસ્થિતી રહી હતી. તેમજ પોલીસ અધિક્ષક સહીતનુ વહીવટી તંત્ર ખડેપગે હાજર રહ્યુ હતુ.
જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ કે દેશના વિર સપુતોને કોટી કોટી વંદન તેમજ મહાત્મા ગાંધીજીના વિચારોને ટાંકીને સાચી સ્વતંત્રતા નાગરીક ધર્મનો મર્મ સમજાવ્યો હતો. આઝાદીને સાર્થક બનાવવી અને દેશને સર્વાંગી વિકાસના પંથે લઇ જવો એ આપણી સૌથી મોટી જવાબદારી હોવાની વાત કરી હતી. જાહેર મિલકતોનુ જતન અને સ્વચ્છતા, ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ અને નાગરીકોના હક્કોનુ સન્માન કરવાથી જ શ્રોષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થઇ શકશે. કેન્દ્રીય મંત્રી અમીત શાહની પ્રેરણાથી ગ્રામીણ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ દ્વારા 2.80 લાખથી વધુ પુસ્તકો ડિજિટલ માધ્યમથી ઘર આંગણે ઉપલબ્ધ કરાવાયા છે. જિલ્લાને હરિયાળો બનાવવા 1 દિવસમાં 37 લાખથી વધારે વૃક્ષોનુ વાવેતર અને ઓકિસજન પાર્કનુ નિર્માણ કરાયુ છે.
