દેવગઢબારીયા શહેરમાં વન વિભાગ દાહોદ દ્વારા દર વર્ષે અલગ અલગ યોજનાઓ હેઠળ વૃક્ષોનું વાવેતર કરાય છે. વૃક્ષો વાવવાએ પર્યાવરણ અને માનવ જાત માટે ખુબ જ આવશ્યક છે. દેવગઢબારીયામાં માનસરોવર, બળિયાદેવ મંદિર, જૂના પોલીસ સ્ટેશન પાસે કૃષિ શાળાની સામે, ટાવર શેરી, ચંદન તલાવડી પાસે સેંકડોની સંખ્યામાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષો વાવ્યા છે. પરંતુ ત્યાર બાદ જરૂરી માવજત લેવામાં ન આવતા અનેક સ્થળોએ વૃક્ષો મુરઝાઇ ગયા છે. ટ્રી-ગાર્ડ તુટી ગયા છે.
હાલમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પાણીની ખુબજ જરૂરિયાત છે પાણી વગર વૃક્ષો સુકાઈ જશે. તુટી ગયેલા ટ્રી-ગાર્ડને રીપેર કરવામાં નહીં આવે તો ચોમાસામાં પવન તથા વરસાદને કારણે પણ છોડને નુકશાન થશે. કેટલાક સ્થળે વૃક્ષો ઊંચા થઈ ગયા છે. તેની આસપાસ તારની ફેન્સિંગ કરવી જરૂરી જણાય છે નહિ તો રખડતા પશુ ટ્રી-ગાર્ડ તોડી નાખશે.










