દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની પંડિત દીનદયાલ સરકારી અનાજની દુકાનના સંચાલક સામે એક ગરીબ વિધવા મહિલાએ તેના પુત્ર સાથે પોતાના રાશન કાર્ડ ઓનલાઇન કુપન નીકળ્યા પછી પણ મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાના આક્ષેપ સાથે માથે અનાજના પોટલા સાથે મામલતદાર કચેરીમાં પુરવઠા અધિકારીને રજુઆત કરવા પહોંચતાં ચકચાર મચી ગઈ હતી.
સંજેલી ખાતે રહેતાં ગરીબ પરિવારના વિધવા લક્ષ્મીબેન રમણભાઈને સસ્તા અનાજની દુકાનેથી દરવખતે બે કિલો જેટલું ઓછુ અનાજ અપાતું હોવાને લઈને મહિલા દ્વારા દુકાનના સંચાલક અરવિંદભાઈ પીઠાયાને વારંવાર રજૂઆત કરતાં હતાં. પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતાં આખરે કંટાળીને લક્ષ્મીબેન તેમના પુત્ર સાથે આજે માથે અનાજનું પોટલું લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતાં. તેમજ પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી.
