દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની પંડિત દીનદયાલ સરકારી અનાજની દુકાનના સંચાલક સામે એક ગરીબ વિધવા મહિલાએ તેના પુત્ર સાથે પોતાના રાશન કાર્ડ ઓનલાઇન કુપન નીકળ્યા પછી પણ મળવાપાત્ર અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાના આક્ષેપ સાથે માથે અનાજના પોટલા સાથે મામલતદાર કચેરીમાં પુરવઠા અધિકારીને રજુઆત કરવા પહોંચતાં ચકચાર મચી ગઈ હતી.

સંજેલી ખાતે રહેતાં ગરીબ પરિવારના વિધવા લક્ષ્મીબેન રમણભાઈને સસ્તા અનાજની દુકાનેથી દરવખતે બે કિલો જેટલું ઓછુ અનાજ અપાતું હોવાને લઈને મહિલા દ્વારા દુકાનના સંચાલક અરવિંદભાઈ પીઠાયાને વારંવાર રજૂઆત કરતાં હતાં. પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતાં આખરે કંટાળીને લક્ષ્મીબેન તેમના પુત્ર સાથે આજે માથે અનાજનું પોટલું લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતાં. તેમજ પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી.

તેમણે લેખિતમાં અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેઓ માંડલી રોડ સ્થિત અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી અનાજ મેળવે છે, નિયમ મુજબ મળવાપાત્ર અનાજની 20 કિલો ચોખાની પાવતી કાઢવામાં આવે છે, પરંતુ માત્ર અંદાજે 18 કિલો ચોખા આપવામાં આવે છે. તેવી જ રીતે 15 કિલો ઘઉંની પાવતી સામે માત્ર 13 કિલો ઘઉં આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. જે બાબતે દુકાનદાર સાથે ત્રણ વખત બોલાચાલી પણ થઈ ગઈ હતી, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ઉલટાનું દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરીને મનમાની ચલાવતો હોવાનું અરજદારે લેખીતમાં ઉલ્લેખ કર્યો છે. જેથી આ બાબતે પુરવઠા મામલતદારને નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો