દાહોદ જિલ્લાના લીમડી ખાતે આજે અષાઢી બીજ પર્વે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થવા માટે લવાયેલ ગજરાજ લક્ષ્મીનું અચાનક મોત નીપજતાં રથયાત્રામાં સામેલ ભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આજે અષાઢી બીજના પાવન અવસરે દાહોદ જિલ્લાના લીમડી શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની પારંપરીક રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં જોડાવા માટે લક્ષ્મી નામના ગજરાજને વડોદરાથી લાવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજનું સ્થાન અતિ મહત્વનું અને પવિત્ર માનવામાં આવે છે.
ત્યારે આ લક્ષ્મી ગજરાજને પણ રથયાત્રા પૂર્વે ગતરાત્રે જ લીમડી લવાયો હતો. આજે સવારે રથયાત્રાનું પ્રસ્થાન થાય તે પૂર્વે જ 40 વર્ષીય લક્ષ્મી ગજરાજનું અગમ્ય કારણોસર અચાનક મોત નીપજ્યુ હતું. આ દુઃખદ ઘટનાથી રથયાત્રા સાથે જોડાયેલા આયોજકો તેમજ ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગજરાજના મોત બાદ તેની દફનવિધી કરી, ત્યાં ભગવાન ગણપતિનું મંદિર પણ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે.
