દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ પક્ષની શિસ્તનો ભંગ કરનારા અને સત્તાવાર ઉમેદવાર સામે મોરચો માંડનારા બે હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરી છે. પક્ષની મંજૂરી (મેન્ડેટ) વગર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા આ સભ્યોને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.


પક્ષની વિરૂદ્ધ જવા બદલ કરાયા સસ્પેન્ડ

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, ઝાલોદ ગ્રામ્ય મંડળના જિલ્લા મંત્રી અનિતાબેન મછાર અને મંડળ મંત્રી પારસિંગભાઈ ગરાસિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને હોદ્દેદારોએ ભાજપના અધિકૃત મેન્ડેટ ધરાવતા ઉમેદવારની સામે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણીને આ પગલું લેવામાં આવ્યું છે.

5 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી

જિલ્લા ભાજપ પ્રમુખે શિસ્તના કોરડા વીંઝતા આ બંને સભ્યોને આગામી 5 વર્ષ માટે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના આ કડક વલણને કારણે અન્ય નારાજ કે બળવાખોર કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર કોઈ પણ હોદ્દેદારને સાંખી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી બાદ ઝાલોદ પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: