આવતીકાલે તા.26ના રોજ દાહોદ જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ અંગે કલેક્ટર યોગેશ નીરગુડે અને જિલ્લા પોલીસ વડાએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી.
બેઠકોની સ્થિતિ એવી છે કે, દાહોદ જિલ્લા પંચાયતની એક બેઠક બિનહરીફ જાહેર થતાં 49 બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત 11 તાલુકા પંચાયતની કુલ 249 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઈ છે, જેથી બાકીની 244 બેઠકો પર ચૂંટણી લડાશે. દાહોદ નગર પાલિકાની 36 બેઠકોમાંથી 7 બિનહરીફ જાહેર થતાં 29 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. કલેક્ટર યોગેશ નીરગુડેએ જણાવ્યું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન કેન્દ્રો પર મતદારો અને કર્મચારીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ચૂંટણી માટે સમગ્ર જિલ્લામાં 11 હજારથી વધુ કર્મચારીઓને કામગીરીમાં જોડાયા છે, જ્યારે સુરક્ષાની જવાબદારી માટે 5000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાશે. ચૂંટણી દરમિયાન અર્ધલશ્કરી દળ, અલગ-અલગ પોલીસ ટીમો, હોમગાર્ડ સહિત 5000થી વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી પણ કાર્યરત રહેશે. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પહેલેથી જ ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો હાથ ધરાયા છે. સુરક્ષા માટે ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા સહિતની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે અને આધુનિક વાહનો પણ તૈનાત રહેશે. શાંતિપૂર્ણ ચૂંટણી માટે અલગ-અલગ ડ્રિલ પણ યોજાઈ છે.










