દાહોદ જિલ્લાના સંજેલી ખાતે કોટા - સંતરામપુર રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ ઉપર રેલાતાં સમગ્ર વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે, આ રસ્તા ઉપર બે દવાખાના પણ આવેલા છે, જ્યાં આવતા દર્દીઓને પણ અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે.

સંજેલીનો કોટાથી સંતરામપુર જવાનો રોડ લોકો માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે, આ રોડ પરથી રોજ શાળામાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પસાર થાય છે, તે ઉપરાંત અન્ય ગ્રામજનો અને વાહનો પણ પસાર થતાં હોય છે. આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ક્યાંક ખાડા મસમોટા થઈ જતાં નાના વાહનચાલકો પડી જવાના પણ બનાવો બની રહ્યા છે.

ઉપરાંત રસ્તાની બાજુમાં સંજેલી પંચાયત દ્વારા ગટર લાઇન બનાવવામાં આવી છે, જે બ્લોક થઈ જતા રસ્તા પર ગટરના ગંદા પાણી ઊભરાઈ રહ્યા છે.જેના કારણે રોગચાળાની પણ દહેશત સેવાઈ રહી છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ ગટરલાઈન પંચાયત દ્વારા આયોજન વિના બનાવાતાં સમસ્યા સર્જાઈ છે. ત્યારે વહેલીતકે આ ગટર લાઈનનો પ્રશ્ન ઉકેલી રોડની મરામત કરવા માગ કરાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો