દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલા નરસિંહ કોલોની ખાતે રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે, જેના કારણે સોસાયટીના રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલી અને ભયનો સામનો કરી રહ્યા છે.


દાહોદમાં રખડતા કૂતરાઓના આતંક

નરસિંહ કોલોની વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કૂતરાઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આવતા-જતા વાહનચાલકો પાછળ આ કૂતરાઓ કરડવાના ઇરાદે દોડે છે. કૂતરાઓના ડરથી બચવા માટે વાહનચાલકો અચાનક વાહન રોકે કે ગતિ વધારે, ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહે છે.સ્થાનિક લોકોમાં કૂતરાઓના આ ત્રાસથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ પણ આ કૂતરાઓએ કેટલાક લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા હતા, જેના કારણે વિસ્તારના લોકોમાં ભય ફેલાયેલો છે.

 વાહન ચાલકો પરેશાન

નરસિંહ કોલોનીના રહીશોએ નગરપાલિકા (નપા) તંત્ર સમક્ષ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે ઉગ્ર માગણી કરી છે. લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ રખડતા કૂતરાઓને પકડવા અથવા તેમનું ખસીકરણ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારના લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરોમાંથી બહાર નીકળી શકે અને વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને.

  • Follow us on: