ડાકોર ખાતે પ્રસિદ્ધ રણછોડરાય મંદિરના ગેટ નજીક આવેલા વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આ આગ મહિલા યાત્રિકોના દરવાજા નજીક જ લાગી હતી. આ આગની ઘટનામાં બે દુકાન અને એક રહેણાંક મકાન બળીને ખાખ થઈ ગયા હતા. આગની જાણ થતાં ડાકોર નગરપાલિકાનું એક ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યું હતું, પરંતુ આગ કાબૂમાં ન આવતાં ઠાસરાથી અન્ય ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી.

બે દુકાન, એક રહેણાંક મકાનમાં લાગી આગ

આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકો મંદિરે ઉમટી પડ્યા હતા. હાલમાં ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. જોકે, આ ઘટનાથી મંદિરની સુરક્ષાને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ અને પાલિકાની ઉદાસીનતા સામે સવાલો ઉઠ્યા છે.