ડીસા તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી જળાશયોમાં જળચર જીવોના મોતના મામલે ભારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. હજી હમણાં જ તાલુકાના જૂના નેસડા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતોની ઘટના શાંત પડી નહોતી, ત્યાં વધુ એક લોરવાડા ગામમાંથી આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોરવાડા ગામે આવેલા અબાણું તળાવમાં અચાનક જ કોઈ અજ્ઞાત કારણોસર સેંકડો માછલીઓ ટપોટપ મરી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓનો મોટો ઢગલો જમા થયેલો જોવા મળ્યો હતો. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં અને જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. તાલુકાના બે મોટા તળાવોમાં ટૂંકા ગાળામાં બનેલી આ સતત બીજી ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. શું તળાવના પાણીમાં કોઈ ઝેરી કેમિકલ ભળ્યું છે, કે પછી ભયંકર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે આ હોનારત સર્જાઈ છે? તે રહસ્ય હજુ અકબંધ છે. સ્થાનિક રહીશો અને જીવદયાપ્રેમીઓએ તંત્ર સમક્ષ આક્રોશ ઠાલવતા માંગ કરી છે કે, આ માછલીઓના આકસ્મિક મોત પાછળના ચોક્કસ કારણો શોધવા માટે પાણીના સેમ્પલ લઈ ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહીછે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો