ગુજરાત રાજ્ય સરકારે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ 'વિકસિત ભારત સંમેલન' યોજવા માટેની એક મોટી અને વિસ્તૃત રૂપરેખા જાહેર કરી છે. આગામી 8 જૂનથી શરૂ કરીને 14 જૂન, 2026 દરમિયાન આ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સંમેલનોના સફળ સંચાલન માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રોને જરૂરી માર્ગદર્શિકા અને કડક આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચાશે

આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે દરેક જિલ્લામાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે, જે સંબંધિત જિલ્લા કલેક્ટરની સીધી અધ્યક્ષતામાં કામ કરશે. આ સંમેલનોમાં જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સંસદ સભ્યો (સાંસદ) તેમજ પ્રદેશ કક્ષાએથી ખાસ નિમણૂંક પામેલા પક્ષના સત્તાવાર પ્રવક્તાઓ પણ વિશેષ રૂપે હાજર રહેશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજા સુધી પહોંચાડશે.

અમદાવાદ અને સુરતમાં બે  કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને જિલ્લાઓનું વિભાજન કરાયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા જિલ્લાઓમાં બે-બે સંમેલનો યોજવામાં આવશે, જ્યારે રાજ્યના અન્ય નાના જિલ્લાઓમાં એક-એક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોની વિસ્તૃત માહિતી પહોંચાડવાનો અને સ્થાનિક સ્તરે જનભાગીદારી વધારવાનો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો