ગીર પૂર્વના ધારી વન વિભાગ હેઠળ આવતી સરસિયા રેન્જમાં એક સગર્ભા સિંહણના મોતને લઈને વન વિભાગની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. લાઠી વિસ્તારની લુવારિયા વીડીમાં તરસ અને બીમારીથી પીડાતી ગર્ભવતી સિંહણ બે દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી રહી, પરંતુ સ્થાનિક સ્ટાફને તેની ગંધ સુધ્ધાં આવી નહોતી. આખરે સિંહણના કરુણ મોત બાદ જાગેલા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસના આધારે મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કરી દેવામાં આવતા વનકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે અપડાઉન કરતા

આ સમગ્ર મામલે જૂનાગઢના સી.એફ.રામ રતન નાલાએ સિંહણના મોતના કારણો અને સ્ટાફની નિષ્ક્રિયતા બાબતે સ્થાનિક એ.સી.એફ.ને કડક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જવાબદાર ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હતા, જેને કારણે વન વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો.

બિમાર સિંહણ અંગે જાણકારી પણ હતી

સિંહણ બે દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી રહી હતી અને તેના મોતની જાણ પણ વન વિભાગને બદલે સ્થાનિક ગામલોકોએ કરવી પડી હતી, જે વન તંત્રના દાવાઓની પોલ ખોલે છે.

સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો?

અત્રે ઉલ્લેખનીય છે કે, લુવારિયા વીડીમાં વન વિભાગની બેદરકારીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ આ જ રાઉન્ડમાં યોગ્ય સારવારના અભાવે વન્યજીવોના મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, એક વર્ષ પહેલાં આ જ વીડીમાં એક માનવ મૃત્યુ થયું હોવા છતાં વન વિભાગે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. હાલમાં બે દિવસ સુધી સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો? અને આ ગર્ભસ્થ સિંહણના મોત પાછળ અસલી જવાબદાર કોણ? જેવા ગંભીર પ્રશ્નો સાથે ઉચ્ચસ્તરીય તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.  


આ પણ વાંચો----     Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ

  • Follow us on: