ધોળકાના દરબાર જીન વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાનો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તા. 7મી જૂને સવારે દરબાર જીન વિસ્તારમાં એક ઓરડીમાં રહેતા રાજલાલ હાસદની ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. સર્વેલન્સ, CCTV ફૂટેજ ચેકિંગ, CDR એનાલિસિસ, માનવ સૂત્રો, નાકાબંધી તેમજ મજૂર વેરિફ્કિેશન સહિત વિવિધ દિશામાં તપાસ માટે 6 અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમ્યાન મૃતક સાથે રહેતા રોશનકુમાર હીરાલાલ શાહ (ઉંમર 32, મૂળ બિહાર) પર શંકા જતાં તેની પૂછપરછ કરાઈ હતી. અંતે આરોપી ભાંગી પડયો હતો. પોલીસ તપાસ મુજબ, બન્ને વ્યક્તિ 4થી જૂને બિહારથી ધોળકા આવ્યા હતા અને 7મીએ સવારે રૂમમાં હાજર હતા. પૈસાના હિસાબ મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થતા રોશનકુમાર ઉશ્કેરાઈ જઈને છરીથી રાજલાલના ગળા પર ઘા ઝીંક્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: